26.3.18

વાંકાનેરનો આ વિસ્તાર ક્યાંક પાકિસ્તાનની માલિકીનો તો નથી ને ??

wankaner - aapnu wankaner - wankaner city - wankaner news

એક સમયે રાજકોટ જિલ્લાનાં તાલુકા તરીકે ઓળખાતા વાંકાનેર શહેરને બે-ત્રણ વર્ષ પહેલા મોરબી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જીલ્લાનું લગભગ સૌથી મોટું તાલુકા મથક હોવા છતાં વાંકાનેર શહેરમાં કોઈ ખાસ ફેરફાર જોવા નથી મળ્યો. ઉલ્ટાનું અમુક વિસ્તારોમાં શહેરીજનોને મૂળભૂત સુવિધાઓથી વંચિત અને સમસ્યાઓથી ઘેરાયેલું રહેવું પડે છે. 

આવો જ એક વિસ્તાર વાંકાનેર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે 8A પાસે આવેલા રેલ્વે નાલાનો છે. અહીં લગભગ 2 વર્ષ કે એથીય વધુ સમયથી નાલામાં ગટરનું અતિશય ગંદુ પાણી ભરાયેલું રહે છે. જેનાથી માત્ર ત્યાંના સ્થાનિક રહેવાસીઓ જ નહીં પરંતુ અહીંથી પસાર થતા શહેરભરનાં લગભગ તમામ નાગરિકો ત્રાસી ગયા છે. સમસ્યાનું નિરાકરણ છેલ્લા બે વર્ષ કે એથીય વધુ સમયથી નહીં આવતા એવું લાગી રહ્યું છે કે વાંકાનેરનો આ વિસ્તાર ક્યાંક પાકિસ્તાનની માલિકીનો તો નથી ને ??

દર્દીઓ અને વિદ્યાર્થીઓને પણ ભોગવવી પડે છે હાલાકી 


અહીં એ ખાસ ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પાસેના જે રેલ્વે નાલામાં પાણી ભરાવવાની સમસ્યા છે તે વિસ્તારની આગળનો વિસ્તાર રહેણાંક અને કોમર્શિયલ એરિયા હોવા ઉપરાંત ત્યાં શહેરની અગ્રણી હોસ્પિટલ્સ, વાહનોના શો-રૂમ અને સ્કૂલસ પણ આવેલી છે અને ત્યાં સુધી વાહનમાં કે પગપાળા પહોંચવા આ રેલ્વે નાલામાંથી પસાર થવું ફરજીયાત છે કારણ કે બાજુમાં નેશનલ હાઇવે 8A ની વનવે લેન હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે. 

ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલમાં જતા દર્દીઓને ગટરના ગંદા પાણીથી ખદબદતા નાલામાંથી પસાર થવું અસહ્ય બની ગયું છે. 

આ તે રાહદારીઓ માટેનો રસ્તો કે જાહેર મુતરડી ??


તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે બારેમાસ આ રેલ્વે નાલામાં અડધો - પોણો ફૂટ ગટરનું પાણી તો ભરાયેલું હોય જ છે એ ઉપરાંત અમુક અસામાજિક તત્વો તેનો જાહેર મુતરડી તરીકે પણ ઉપયોગ કરવા લાગ્યા છે. હવે તમે જરા વિચારો કે કોઈ વ્યક્તિ અહીંથી ચાલીને ગટરના પાણીથી બચી બચીને જઈ રહ્યો હોય અને બાજુમાંથી પૂરઝડપે વાહન પસાર થાય તો તેના પર કેવા પ્રકારની ગંદકી ઉડશે ... !!! 

પ્રશ્ન એ થાય છે કે શું આ રાહદારીઓને ચાલવા માટેનો રસ્તો નથી ? કે પછી લોકોએ પોતાની સલામતીની પરવા કર્યા વિના નેશનલ હાઇવે 8A ની વનવે લેન પર ચાલવું જોઈએ ? 

ધારાસભ્ય કાર્યાલયેથી પણ થઇ હતી રજૂઆત



આ લોક સમસ્યાનો નિકાલ આવે તે માટે ગત વર્ષે 9/11/2017 ના રોજ વાંકાનેર-કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જાવેદ પીરઝાદાના કાર્યાલય ઇન્ચાર્જ શકીલ પીરઝાદા દ્વારા NHAI ને રજુઆત કરી સમસ્યાને હલ કરવા જાણ કરાઈ હતી. 

આટલા વર્ષોથી સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું ?


ઉપરોક્ત સમસ્યા વાંકાનેરના શહેરીજનો માટે કોઈ નવી સમસ્યા નહિ પણ વર્ષો જૂની સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો એવું માને છે કે આ સમસ્યા માટે NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) જવાબદાર છે. 

સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલમાં જતા દર્દીઓને ગટરના ગંદા પાણીથી ખદબદતા નાલામાંથી પસાર થવું અસહ્ય બની ગયું છે.

આ અંગે જયારે NHAI ના જવાબદાર અધિકારી સાથે વાત કરવામાં આવી તો એમનાં તરફથી એવું કારણ દર્શાવવામાં આવ્યું હતું કે NHAI ના કાર્યક્ષેત્રમાં આવતા રસ્તાઓમાં જો વરસાદનાં પાણીનો નિકાલ ન થાય અને વરસાદી પાણી ભરાય જાય તો એની જવાબદારી NHAI ની હોય છે અને એ માટે અમે દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મોટાભાગનાં રસ્તાઓની સાફસફાઇ કરીએ છીએ. અને જે સમસ્યા વાંકાનેર પાસેના રેલ્વે નાલાની છે તો ત્યાં આજુબાજુનાં વિસ્તારોમાંથી આવતું ગટરનું પાણી જમા થાય છે અને તેની સાફસફાઇ સ્પષ્ટ રીતે સ્થાનિક નગરપાલિકાનું કામ છે. તેમ છતાં અમને આ અંગે ફરિયાદ મળતાં અમે સ્થાનિક નગરપાલિકાને આ અંગે જાણ કરી જ છે. 

વાંકાનેર નગરપાલિકા શું કહે છે ?


" આપણું વાંકનેર " દ્વારા આ મુદ્દે વાંકાનેર નગરપાલિકાનું શું કહેવું છે એ જાણવા પણ પ્રયત્ન કરાયો હતો. પરંતુ વાંકાનેર નગરપાલિકાની કચેરીએથી ચીફ ઓફિસરશ્રીનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો જેના પર બે થી ત્રણ વખત સંપર્ક કરવા છતાં " ડાયલ કરેલ નંબર અસ્તિત્વમાં નથી " ની કેસેટ વાગ્યે રાખતી હતી જેના કારણે એમની સાથે વાત થઇ શકી ન હતી.

 પાર્ટ - 2  વાકાનેર નેશનલ હાઇવે પાસેના ગંધાતા રેલવે નાલા મુદ્દે 2 વર્ષથી કોઈ નિરાકરણ નહિ આવતા લોકોમાં રોષ 



  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 
સંપર્ક :  - 9898 11 3634