આજકાલની યંગ જનરેશનને તમે કોઈ કામ સોંપો અને કહો કે બાઇક ન લઈ જતો, ચાલીને જજે.. એટલે જાણે કોઈએ તેને હિમાલય તોડવા જેવું કામ ન સોંપી દીધું હોય એવું મોઢું બગડી જાય.
ફાસ્ટફૂડ, મોબાઈલ અને બેઠાડું જીવન જીવવાની આદતોએ જુવાનિયાઓની સ્ફૂર્તિનો એવો દાટ વાળ્યો છે કે એને હવે આળસુ નહીં પણ આળસુનાં પીરનું બિરુદ પણ ઓછું પડે.
હવે મૂળ વાત કરીએ...
નામ તેજા બાપા, આશરે 70 વર્ષની ઉંમર અને વાંકાનેરથી 5 ગાઉ (લગભગ 20 કિમી) મોરથરા ગામનાં વતની.
તેજા બાપા અઠવાડિયે કે પંદર દિવસે એકાદ વાર વાંકાનેર આવે પણ એની જૂની-પુરાણી સાઇકલ લઈને જ આવે.
વિચાર આવે કે અહીં શહેરનાં જુવાનિયા અડધો કિમી સાયકલ ચલાવવામાં'ય ખભા ઉલાળીને ના કહી દે છે ને આ 70 વર્ષનાં તેજા બાપા છેક 20 કિમી દૂર મોરથરાથી સાયકલ ચલાવીને વાંકાનેર સુધી આવે છે તો એની સ્ફૂર્તિ કેવી હશે.
આ વિશે પૂછતાં તેજા બાપા જણાવે છે કે તેઓ રોજ વહેલી સવારે 6 વાગ્યે અચૂક ઉઠી જ જાય. સવારે ભેંસનું તાજું દૂધ અને બાજરાનાં રોટલાનું શિરામણ (ગામડામાં સવારનાં નાસ્તાને શિરામણ કહે છે) કરી સાયકલ લઈ વાડીએ કામે લાગી જાય.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેજા બાપાને આજે 70 વર્ષની ઉંમર થવા છતાં એકેય આંખમાં નંબર નથી અને વાળ એવા કે જોનારને એવું લાગે જાણે હમણાં જ કાળો કલર ન કરાવ્યો હોય.
પોતાની બીજી પેઢી એટલે કે પુત્રનાં પુત્રો (પૌત્રો) ને પણ પોતાનાં હાથે રમાડી ચૂકેલા તેજા બાપા દરરોજ લગભગ 4-5 કિલોમીટર સાયકલ ચલાવી લે છે. હા, એક ચા અને બીડી પીવાનું વ્યસન ખરું પણ તેની માત્રા એટલી કે શરીરની તંદુરસ્તી પર એની અસર વર્તાઈ નહીં.

