આજકાલ લોકોમાં એક આદત બહુ સામાન્ય રીતે જોવા મળી રહી છે અને તે એ કે તેઓ કોઈના વિશે પૂરું જાણ્યા વિના તેના વિશે મંતવ્ય બાંધી લે છે અથવા નજરે જોયેલ દ્રશ્યને જ હકીકત માની લે છે પરંતુ દરેક વખતે એવું નથી હોતું. ક્યારેક એવું પણ બને કે નજરે જોયેલ દ્રશ્ય પાછળ હકીકત કઇંક જુદી જ હોય.
આવી જ એક ઘટના મારી તાજેતરની વાંકાનેરનાં વૃદ્ધાશ્રમ ખાતેની મુલાકાત દરમિયાન બની.
વૃદ્ધાશ્રમનાં એક રૂમમાં હું ત્યાંના વડીલોની વિઝીટ કરી રહ્યો હતો મેં બારીમાંથી જોયું કે એક આલીશાન ફોર્ચ્યુનર ગાડી વૃદ્ધાશ્રમ પાસે ઉભી રહી અને તેમાંથી ઓફિસર જેવું વ્યક્તિત્વ ધરાવતો એક માણસે એક ઘરડા માજીને લઈને વૃદ્ધાશ્રમમાં એન્ટ્રી કરી. સાથે આશરે 18 વર્ષનો એક યુવાન દીકરો અને મોંઘોડાટ ડ્રેસ પહેરેલ અને લાગણીશુન્ય દેખાતા એક બહેન. (આ દ્રશ્ય જોયું અને તરત જ મગજમાં જાણે પ્રશ્નોની હારમાળા સર્જાઇ મનમાં જ એ વ્યક્તિ પ્રત્યે ધિક્કારની ભાવના જાગી. પણ કંઈ બોલવુ કે પૂછવું શક્ય ન હતું એટલે મૌન રહ્યો)
કારણ કે હું અઠવાડિયામાં બે-ત્રણ વાર વૃદ્ધાશ્રમનાં દર્દીને જોવા માટે જતો જ હોઉં છું એટલે એ માજી સાથે મુલાકાત સંભવિત જ હતી.
એ માજી લાગતા તો સુખી ઘરના હતા પણ અહીં કેમ આવ્યા હશે ? એમના ચહેરા લાગણી શુન્ય કેમ હતા ? માજી પણ કંઇ ખાસ ઉદાસ લાગતા ન હતા ? રાત્રે સુતા પહેલા મગજમાં સતત આ બધા પ્રશ્નોનો મારો ચાલ્યો. હવે પછીની વિઝિટમાં એ માજી ચેક અપ માટે આવે એટલે બધું જ પૂછી લઈશ એવું પોતાની જાતને આશ્વાસન આપી સુઈ ગયો.
બીજી જ વિઝિટમાં જેવો વૃદ્ધાશ્રમમાં પ્રવેશ્યોને માજીને વેઇટિંગ રૂમમાં બેઠેલા જોયા એટલે ભૂલમાં જાણે કોઈ પ્રશ્ન સાચો પડે ને જે ખુશી થાય એવો અનુભવ થયો. (કોઈ દર્દીને જોઇ ખુશ થવું એ યોગ્ય નથી પણ દર્દીના દુઃખને મારી આજીવિકા બનાવવાનું હુનર પણ અલ્લાહ તરફથી મને મળેલ છે).
"કાકા આ માજીને છેલ્લે રાખજો નવા છે એટલે સમય લાગશે ચેક-અપ કરવામાં.. " (વૃદ્ધાશ્રમનાં વડીલોની સારસંભાળ રાખતા કાકાને મેં કહ્યું)
"હા સાહેબ વાંધો નહીં..." (કાકાએ સહજતાથી જવાબ આપ્યો)
આટલા સુખી ઘરના માજી ને અહીં આવીને કેવું લાગતું હશે એ દુઃખી તો નઇ હોય ને ? હસતાં-હસતાં ચેક કરાવવા આવેલ માજીને જોઈને એ વિચાર જાણે અર્થહીન બની ગયો !
" માજી ક્યાંના છો ? અને અહીં કેવું લાગે છે ? કંઈ જૂની તકલીફ ..? " (એકજ શ્વાસે મેં ખચકાટ સાથે પૂછ્યુ)
" ડૉક્ટર સાહેબ, અહીં સારું લાગે છે મને મારા દીકરા જેવો જ દીકરો મળી ગયો છે.." (જવાબ સાંભળી મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ.. જાણે મારા ઓબ્ઝર્વેશનમાં કોઈ તથ્ય જ ના હોય !)
" તો માજી એ મુકવા આવ્યો એ તમારો દિકરો નહતો ?.."
" ના સાહેબ, એ મારા દીકરાનો મિત્ર હતો જેણે મારું બહુ ધ્યાન રાખ્યું છે.." (માજીનાં ઘા માં નમક છીડકવા સમાન મેં આગલો પ્રશ્ન પૂછ્યો)
મારા આ પ્રશ્ને જાણે એમનું સ્મિત છીનવી લીધુ. એક ક્ષણ પહેલા હસીને વાત કરતાં માજીનાં ચેહરા પર દુઃખની લીટી સ્પષ્ટ દેખાઈ આવી. હું કંઈ સમજું એ પહેલા જ માજી બોલ્યા.
" સાહેબ, મારા દીકરાએ અંગત કારણથી પોતાનું જીવન ટૂંકાવી દીધું અને એનાં આ સુદામા જેવા મિત્રએ મારી ખૂબ જ સેવા કરી છે.."
" તો અહીં કેમ આવ્યા ..? " (મેં પૂછ્યું)
" સાહેબ, હવે ઉંમર થઇ ગઇ એટલે મારી ઉંમરનાં વૃદ્ધો સાથે આધ્યાત્મિક જીવન જીવવા મેં જાતે જ અહીં આવવાનો નિર્ણય લીધો.. "
આ જવાબ સાંભળીને મારા વિચારો પર મને જ નફરત થવા લાગી. એક સજ્જન વિશે પુરૂ જાણ્યા વગર જ મેં એમનાં વિશે શું - શું વિચારી લીધું હતું ...
આ વાંકાનેરનાં વૃદ્ધાશ્રમનો મારો જાત અનુભવ છે જે સ્પષ્ટ શીખવે છે કે કોઈ વ્યક્તિ, પરિસ્તીથી કે દ્રશ્ય જોઈ કોઈનાં વિશે મંતવ્ય ન બાંધી લેવું જોઈએ બની શકે વાસ્તવિકતા એથી સાવ ઉલટી પણ હોય.
-
By,
By,
ડો. અલ્તાફ શેરસીયા (MD - Ayu)
Relief Hospital
wankaner
M : 90334 57226
M : 90334 57226
