વાંકાનેર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. એક બાજુ સરકાર બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંકઅપ કરાવવા તથા જાતજાતની સરકારી યોજનાઓનો લાભ લેવા આધારકાર્ડ ફરજિયાત કરી લોકોને દોડાદોડી કરાવી રહી છે તો બીજી તરફ વાંકાનેર પંથકમાં છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ પડી છે.
ઉપરોક્ત લોક સમસ્યા અંગે વાંકાનેરનાં સામાજિક કાર્યકર એવા તોફિક અમરેલીયાએ જિલ્લા કલેક્ટરશ્રીને ટ્વિટર મારફત પત્ર પાઠવી સમસ્યા હલ કરવા રજુઆત કરી છે.
કલેકટરશ્રી ને પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા લગભગ દોઢેક માસથી વાંકાનેર ખાતે આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ છે. ઉપરાંત વાંકાનેર પંથકના છેવાડાના ગામેથી વાંકાનેર આધારકાર્ડ કઢાવવા આવેલા સામાન્ય માણસને જ્યારે તાલુકા સેવા સદનની કચેરીએ પહોંચે ત્યારે તેને જાણ થાય છે કે આધારકાર્ડ કામગીરી તો બંધ છે જેના કારણે તેમનો સમય અને નાણાં બન્નેનો વ્યર્થ થાય છે.
જ્યારે આ અંગે મામલતદારશ્રી તરફથી પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કે જાણકારી આપવામાં આવતી નથી કે આધારકાર્ડ કાઢવાની કામગીરી શા માટે અને ક્યાં સુધી બંધ રહેશે ?
![]() |
| સામાજિક કાર્યકર તોફિક અમરેલીયા દ્વારા જિલ્લા કલેકટરશ્રી ને આ બાબતે રજુઆત કરવામાં આવી છે |
આ અંગે સામાજિક કાર્યકર તોફિક અમરેલીયાની રજુઆત ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા લોકોને પડી રહેલી હાલાકી દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

