30.4.18

વાંકાનેર : પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે આવતી - જતી બસનું ટાઈમટેબલ નથી અને ત્યાંનું બસ ટાઇમટેબલ બોર્ડ મુખ્ય બસ સ્ટેન્ડમાં !! 🤔

wankaner _ aapnu wankaner _ wankaner ST depo _ Wankaner ST pick up bus stand pul darwaja

જો તમે વાંકાનેરનાં એક સામાન્ય માણસ અને શહેરીજન છો અને તમારે રાજકોટ કે આજુબાજુના કોઈ પણ શહેરમાં જવાનું હોય તો તમારે ફરજિયાત વાંકાનેર પુલ દરવાજા વિસ્તારમાં આવવું પડશે અને અહીં આવીને " ઉભા-ઉભા " એસ.ટી. બસની રાહ જોવી પડશે.

તેનું કારણ એવું છે કે પુલ દરવાજા વિસ્તારમાં આવેલ આ  એસ.ટી. બસ સ્ટોપમાં મૂળભૂત અને પાયાની કહી શકાય તેવી એક પણ સુવિધા ઉપલબ્ધ નથી

દરરોજ હજ્જારોની સંખ્યામાં મુસાફરો અહીંથી એસ.ટી. દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં મુસાફરી કરે છે. તેમ છતાં આ બસ સ્ટોપ પર મુસાફરોને બેસવા માટે એક બેન્ચ કે છાપરાનાં છાંયડાની સુવિધા પણ નથી. એટલું જ નહીં કઇ બસ ક્યારે આવશે અને કઇ બસ ક્યારે ઉપડશે તેની કોઈ પ્રકારની જાણકારી પણ નહીં મળે.  બસોના સમયપત્રકનું નાનકડું બોર્ડ પણ અહીં ઉપલબ્ધ નથી.

પુલ દરવાજા બસ સ્ટોપનું બસ ટાઇમટેબલ બોર્ડ મુખ્ય બસ સ્ટેન્ડમાં !


બસોના સમયપત્રકનાં બોર્ડ વિષયે તપાસ કરતા જાણવા મળ્યું કે થોડા સમય પહેલા જ એક ખાનગી બેંક દ્વારા શહેરના પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે લોકોને અહીં આવતી-જતી બસો ના સમયની જાણકારી મળી રહે તે માટે એક મોટું બેનર બોર્ડ વાંકાનેર એસ.ટી. તંત્રને આપવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ શબ્દોમાં "પુલ દરવાજા પિક-અપ સ્ટેન્ડ" એમ લખેલ હતું.

તેમ છતાં વાંકાનેર એસ.ટી. તંત્ર દ્વારા આ બોર્ડ પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે રાખવાને બદલે મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે લગાવી દેવામાં આવ્યું છે. અને તે પણ ઇન્કવાયરી ઓફિસની બાજુમાં જ.

હવે વિચાર એ થાય કે વાંકાનેરનું મુખ્ય બસ સ્ટેન્ડ કે જ્યાં બસો ના આવવા - જવાના સમય અંગે પૂછપરછ કરવા ઇન્કવાયરી ઓફિસ છે, 02828 220558 નંબરનું ફોન કનેક્શન છે અને આ બધું સંચાલન કરવા માટે કર્મચારી પણ છે તો ત્યાં આ સમયપત્રક બોર્ડ મુકવાનો અર્થ શું ? અને જો બોર્ડ દ્વારા જ લોકોને જાણકારી મળતી હોય તો ઇન્કવાયરી ઓફિસ અને તેનું સંચાલન કરનાર એસ.ટી. કર્મચારી રાખવાનો અર્થ શું ? તે પણ એક મોટો સવાલ છે. 


  લેખક વિષે ↴  
નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

28.4.18

વાંકાનેર : ચાવડી ચોક ખાતેની પોલીસ ચોકી ફરી કાર્યરત, કર્મનિષ્ઠ પોલીસ અધિકારીનો સરાહનીય પ્રયાસ

wankaner city police _ Ramdevsinh Jadeja PSI _ Wankaner

વાંકાનેર શહેરમાં જ્યારથી સીટી PSI તરીકે રામદેવસિંહ જાડેજા (RP જાડેજા) એ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેઓ પોતાની પ્રજાલક્ષી કામગીરીને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

અહીં એ સ્પષ્ટ રહે કે અમે માત્ર ચમચાગીરી કરી ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા તેમની કામગીરીની નોંધ લેતા હોઈએ એવું જરાય નથી આ પોલીસ અધિકારીએ ટૂંકાગાળામાં શહેરની જે શકલ-સુરત બદલી છે તે સૌની સામે છે અને જો કોઈ અધિકારી પોતાની ફરજ સુપેરે નિભાવી રહ્યા હોય તો એમના એ કાર્યની કદર થાય એ સ્વાભાવિક છે.

આપણું વાંકાનેર દ્વારા છેલ્લે 28 માર્ચના રોજ ઇન્ટરવ્યૂ માટે સીટી PSI RP જાડેજાની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે 27 એપ્રિલે ફરી તેમની મુલાકાત થઈ.

છે ને દમદાર અધિકારી : ચાવડી ચોક પોલીસ ચોકીને રીનોવેટ કરી ફરી કાર્યરત કરવા PSI RP જાડેજા એ પોતે પણ આર્થિક સહયોગ કર્યો છે

આ વેળા તેઓ શહેરનાં ચાવડી ચોક વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી ખાતે મળ્યા. અહીં એ નોંધવું રહ્યું કે આ એ જ પોલીસ ચોકી હતી જે છેલ્લા ઘણા સમયથી બંધ જેવી નિષ્ક્રિય હાલતમાં પડી હતી.

એ પોલીસ ચોકીને નવા રંગરોગાન અને નવા ફર્નિચર સાથે જોઈ નવાઈ લાગી. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અંદાજે 11 હજાર ઉપરાંતની રકમનાં ખર્ચે આ પોલીસ ચોકીને રીનોવેટ કરી કાર્યરત કરવામાં આવી રહી છે. જેમાં લોક સહયોગ સાથે PSI RP જાડેજાનું પોતાનું પણ આર્થિક યોગદાન શામેલ છે.

આમ તો વાંકાનેરમાં શહેર પોલીસ સ્ટેશન શહેરની અંદર પોલીસ લાઈન વિસ્તારમાં જ છે તેમ છતાં શહેરનાં બીજા છેડે કોઈ ઇમરજન્સી ઘટના ઘટે તો પોલીસ વાહન દોડાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેવામાં આ ચાવડી ચોક પોલીસ ચોકી નિયમિત કાર્યરત રહે અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહે તો નિઃશંકપણે પ્રજામાં પોલીસ પ્રત્યે આદરભાવ અને સન્માનની લાગણી થશે. 


  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

5.4.18

રિયલ હીરો : જરૂરિયાતમંદ દર્દીઓની અનોખી સેવા કરતા વાંકાનેરના અબ્બાસ ભારમલ સાથે એક મુલાકાત

wankaner - aapnu wankaner - wankaner city - wankaner news (3 Abbas bharmal wankaner

કહેવાય છે ને કે સારું કામ કરતા વાર નથી લાગતી પણ સારું કામ કરવું જોઈએ તેવો વિચાર આવતા વર્ષો લાગી જાય છે. 

અહીં આપણે વાંકાનેરનાં એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સારું કામ કરવાનો ફક્ત વિચાર જ ન કર્યો પરંતુ પોતે એ કામ શરૂ પણ કરી બતાવ્યું. 

અબ્બાસ શબ્બીરહુસેન ભારમલ નામનો વાંકાનેરનો આ યુવાન છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર હોય ત્યાં સુધી વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર, ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનો એક પણ રૂપિયો લીધા વિના મફત પુરા પાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ વધુ ને વધુ લોકોને મળે તથા અન્યોને પણ આવું કાર્ય કરવાની પ્રેરણા મળે તે હેતુથી " આપણું વાંકાનેર " દ્વારા અબ્બાસ ભારમલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. અહીં તેમની સાથે થયેલ વાતચીતના અંશો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. 

Q - આ સેવાકાર્યની શરૂઆત કઈ રીતે કરી ? 
A - તેની શરૂઆત એક એક્સિડન્ટથી થઈ હતી. બન્યું એવું કે મારા પપ્પા શબ્બીરહુસેન ભારમલ અમારી દુકાને કામ કરતા કરતા પડી ગયેલા અને એમને થાપાનું હાડકું તૂટી ગયું. ઓર્થોપેડિક ઈલાજ બાદ પપ્પાનું હાલવા ચાલવાનું ચાલુ રહે તે માટે વોકરની જરૂરત ઉભી થઇ. મેં શહેરભરમાં શક્ય તેટલી કોશિશ કરી કે ક્યાંક આવી વોકર હોય તો હું ભાડે લઇ આવું. પરંતુ ક્યાંય ન મળતા છેવટે મેં પપ્પા માટે નવી વોકર ખરીદી લીધી. ત્યારે મને વિચાર આવ્યો હતો કે હું તો સામાન્ય પરિવારમાંથી આવતો હોવાથી મારા માટે નવી વોકર ખરીદવી બહુ અઘરું નથી પણ કોઈ ગરીબ પરિવારમાં આવી ઘટના ઘટી હોય તો... ? જ્યાં ઈલાજ કરવાના રૂપિયાના પણ ફાંફાં હોય તે લોકો દર્દી માટે નવી વોકર ક્યાંથી ખરીદી શકવાના ? પણ જે તે સમયે એ વિચાર ફક્ત વિચાર જ રહ્યો

ત્યારબાદ 2014 માં 66 વર્ષની વયે જ્યારે મારા પપ્પાનું દુઃખદ અવસાન થયું અને તેમની વરસીનો સમય આવ્યો ત્યારે નાત-જમણ કરવાને બદલે મેં તે રકમમાંથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં આવે તેવા સાધનો વસાવી પપ્પાનાં ઇસાલે સવાબ માટે ઉપરોક્ત સેવાકાર્યની શરૂઆત કરી. 

Q - આ માટે કોઈનો આર્થિક સહયોગ મળ્યો ?
A - ના, અસલમાં મેં ક્યાંયથી આર્થિક સહયોગ માંગ્યો પણ નથી. પપ્પાનાં અવસાન બાદ તેમની વરસીનું નાત-જમણ કરવાના બદલે એ રકમનો જ ઉપયોગ કરવાનું મેં નક્કી કર્યું હતું અને તે રકમમાંથી જ મેડિકલ સાધનો ખરીદ્યા. હા, આ માટે મારા ખાસ મિત્ર અને રાજકોટ ખાતે મેડિકલ સ્ટોર ધરાવતા અકબરભાઈ પટેલે મને મેડિકલ સાધનો વ્યાજબી ભાવે મળી રહે તે માટે ખૂબ મદદ કરી જે માટે હું એમનો આભારી છું. 

Q - આ સેવાકાર્ય માટે ફેમિલી સપોર્ટ કેવો મળ્યો ? 
A - જો કે આ કાર્ય સાથે મારો કોઈ પણ પ્રકારનો આર્થિક ફાયદો જોડાયેલ નથી તેમ છતાં મારા ફેમિલી ઉપરાંત મારા ફ્રેન્ડ સર્કલમાંથી પણ મારા આ કામને બિદરાવવામાં આવ્યું. મારા મરહુમ પપ્પાને તેનો ઇસાલે સવાબ મળે તે હેતુ જ આ ટોટલ નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.  

Q - અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને લાભ પહોંચ્યો હશે આપની આ સેવા પ્રવૃત્તિથી ?
A - મેં 2015 માં આ પ્રવૃત્તિની શરૂઆત કરી હતી ત્યારથી વાંકાનેર શહેર અને ગ્રામ્ય પંથક મળી અત્યાર સુધીમાં લગભગ 400 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને અમે ઉપયોગી થયા છીએ. 

અબ્બાસ ભારમલ જરૂરિયાતમંદ દર્દીને વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર,
ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનોની વિનામૂલ્યે મદદ કરે છે

Q - ઉપરોક્ત સાધનો માટે તમે કોઈ ભાડું કે ડિપોઝીટ લ્યો છો ?
A - ના, કોઈપણ જરૂરિયાતમંદ દર્દીને જો વ્હિલ ચેર, વોકર, સ્ટ્રેચર, ઇલેક્ટ્રિક બેડ અને ટોયલેટ ચેર જેવા મેડિકલ સાધનોની જરૂર પડે તો તેના માટે કોઈ પણ પ્રકારનું ભાડું નથી લેવામાં આવતું. અલબત્ત સાધનની બજાર કિંમત અનુસાર 500 થી 3000 રૂપિયા ડિપોઝીટ પેટે લેવામાં આવે છે જે રકમ દર્દી સાધનનો ઉપયોગ કરી લે અને પાછું આપે તે સમયે પૂરેપૂરી રકમ પરત આપી દેવામાં આવે છે. એટલે કે દર્દીને કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ નથી પડતો. 

Q - દર્દીઓ તરફથી કેવો પ્રતિભાવ મળ્યો ?
A - આપણી આજુબાજુ એવા ઘણા લોકો રહે છે જેઓ પાસે ઈલાજ અને દવાના પૈસા પણ નથી હોતા એવા લોકો જ્યારે મારી પાસે મેડિકલ સાધનો લેવા અને ઉપયોગ કર્યા બાદ પરત દેવા આવે છે ત્યારે ભાવુક થઈ દુઆઓ પણ આપતા જાય છે અને આ કાર્યની સરાહના પણ કરે છે. 

જરૂરિયાતમંદ દર્દીઓને ઉપરોક્ત સાધનોની જરૂર હોય તો
અબ્બાસ ભારમલને  (99741 61252) પર સંપર્ક કરી શકે છે
 

Q - જો આ કાર્યમાં કોઈ તમારા સહભાગી બની યોગદાન આપવા ઈચ્છે તો આપી શકે ?
A - જો કે અમે કોઈ પાસેથી ડોનેશન કે દાન સામેથી નથી સ્વીકારતા પરંતુ જે કોઈ સ્વેચ્છાએ કે પોતાના મરહુમ (સ્વર્ગસ્થ) વ્યક્તિનાં ઇસાલે સવાબ અર્થે સહયોગ આપવા ઈચ્છે તો આપી શકે. હાલમાં જ અમારા એક મિત્ર તરફથી તેમના મરહુમનાં ઇસાલે સવાબ અર્થે એક હોસ્પિટલ બેડ અમને આપવામાં આવ્યો હતો જેથી જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકે. 

Q - હાલ અત્યારે તમારી પાસે કેટલા મેડિકલ સાધનો ઉપલબ્ધ છે ? 
A - હાલ અમારી પાસે 9 ટોયલેટ ચેર, 1 બેડ (ડોનેટેડ), 8 વોકર, 5 સપોર્ટ માટેની લાકડી, 1 સ્ટ્રેચર, 6 ટોયલેટ પોટ અને 1 ઇલેક્ટ્રિક બેડ ઉપલબ્ધ છે અને ધીમે ધીમે વધારે સાધનો વસાવી વધુ ને વધુ લોકોને ઉપયોગી થઈ શકાય તેવા પ્રયાસો કરીશું. 

Q - લોકો તમારો સંપર્ક કઈ રીતે કરી શકે ?
A - જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેડિકલ સાધનોની આવશ્યકતા તો મારા મોબાઈલ નંબર - 99741 61252 પર ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. એ સિવાય મુહમ્મદી હાર્ડવેર, મેઈન બજાર ખાતે મને રૂબરૂ પણ મળી શકો છો.

 જો તમારી આસપાસ પણ કોઈ વ્યક્તિ આ રીતે દંભ-દેખાડા વિના નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા હોય તો નીચે દર્શાવેલ નંબર પર લેખકનો સંપર્ક કરી માહિતી આપી શકો છો. 

  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 
સંપર્ક :  - 9898 11 3634 

1.4.18

વાંકાનેર : નેશનલ હાઇવે પાસેના ગંધાતા રેલવે નાલા મુદ્દે 2 વર્ષથી કોઈ નિરાકરણ નહિ આવતા લોકોમાં રોષ

wankaner - aapnu wankaner - wankaner city - wankaner news (2)

વાંકાનેર નેશનલ હાઇવે પાસેનાં રેલવે નાલામાં છેલ્લા બે વર્ષ કે એથીયે વધુ સમયથી સફાઈ ન થતી હોય અને અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય તે અંગેનાં અહેવાલો ગત તારીખ 26 માર્ચ 2018 નાં રોજ " આપણું વાંકાનેર " માં પ્રકાશિત થયા હતા.

જો કે એ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારનાં પગલાં ન લેવાતા અમે અહીં એ જ વિષય પર ફરી એક વખત તંત્રનાં બહેરા કાને પ્રજાની ફરિયાદ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ. 

સામાન્ય લોકોએ ઠાલવ્યો તંત્ર સામે રોષ 


ઉપરોક્ત રેલવે નાલાની ગંદકી સંબંધિત આ પહેલાંના અહેવાલની વેબ લિંક આપણું વાંકાનેરનાં ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ શેયર કરવામાં આવી હતી. જેમાં અમને વાંકાનેરની પ્રજા તરફથી સમર્થનનો પ્રતિસાદ સાંપડ્યો હતો લોકોએ આ સમસ્યા મુદ્દે પોતપોતાના વિચારો પણ કમેન્ટ કર્યા હતા. તે પૈકી અમુક કમેન્ટ્સ અમે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ જેથી તંત્રને પણ આ લોક ફરિયાદની ગંભીરતા સમજાય.

" વિકાસ થયો વાંકાનેરનો " - Moyudin Badi 
" Bhai mat jota hoi tyare badha moti moti vatu kare pachhi Kya koi vastu ma dhiyan de છે " - Anish Sherasiya 
" Julam " - Ashraf Wankaner 
" Schi vat , wankaner jetlo gando ek pan taluko nathi , koi to avaz uthavo have " - Prarthana Pandya   
" Wankaner no vikas kyarey thavano j nathi.... " - Vishwajitsinh Sindhavadar  
" 1 વિસ્તાર નહી આખુ વાંકાનેર પાકિસ્તાન છે કયા સારો રસ્તો છે કયાય વાંકાનેર મા " - Zala Prahladsinh  
" khub saras ane sachi vat chee pan koi Action less | Mat jota joy tyare to Jamadva no plan vadhare chale Derek Area ma ena karta bije dhyan aape to saru " - Manisha Bhatti  
" Sem...sem.. " - Dinesh Shah 
" Vikas jya thai che tya double thai che nd nthi thato tya thato j nthi....." - Kaushik Solanki 

તોફિક અમરેલીયા

AAP નાં તોફિક અમરેલીયા દ્વારા સ્થળની રૂબરૂ મુલાકાત 


આ ઉપરાંત આ મુદ્દે વાંકાનેર AAPનાં કાર્યકર તથા RTI એક્ટિવિસ્ટ અને સોશ્યલ વર્કર તોફિક અમરેલીયાએ પણ ઉપરોક્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ફેસબુક લાઈવ વિડીયો થકી તંત્રને આ મુદ્દે લોકોની ફરિયાદ ધ્યાને લઇ સમસ્યા હલ કરવા માંગ કરી છે.

  લેખક વિષે ↴  

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે. 
સંપર્ક :  - 9898 11 3634