22.12.19

વાંકાનેર ખાતે મહાનુભાવોનો સન્માન સમારોહ તથા સર્વજ્ઞાતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાનું સાફો પહેરાવી અને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

ગઈકાલે શનિવારે બપોરે વાંકાનેરની પ્રસિદ્ધ કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના પટાંગણ ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનો સન્માન સમારોહ તથા સર્વજ્ઞાતિય સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. 
 


આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા સહિત, રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદન પીઠાવાલા, વાંકાનેર યુવરાજ શ્રી કેશરીદેસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. 

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ રાજ્ય સરકારની પાણી પુરવઠા સંબંધી યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય પંથકમાં સુચારુ પાણી વ્યવસ્થા માટે 3 હજારની વસ્તી હોય ત્યાં પાણીનો ટાંકો સ્થાપિત કરી આપવામાં આવે છે તે હવે 1500 ની વસ્તીએ પણ સ્થાપિત કરી આપવામાં આવશે. 

કાર્યક્રમમાં શહેરના ખ્યાતનામ ડોકટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે રાજકોટ સંસદીય મતવિસ્તારના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર તથા કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહ, માંધાતા સમસ્ત કોળી સમાજ ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ ધરજીયા, માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શૈલેષભાઇ જાંબુકીયાને આ સર્વજ્ઞાતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

કાર્યક્રમ દરમિયાન વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં મહિલા PSI પૂજા મોલિયા સહિત સ્ટાફે સુચારુ પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.

કાર્યક્રમની આભારવિધિ કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહે કરી હતી.

19.12.19

વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલના પટાંગણમાં આવતીકાલે મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાશે


વાંકાનેર : વાંકાનેરની પ્રસિદ્ધ કિડ્ઝલેન્ડ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલના પટાંગણ ખાતે આવતીકાલે રાજ્ય સરકારમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા તથા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રવદન પીઠાવાલાનો સન્માન સમારોહ તથા સર્વજ્ઞાતિય સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સર્વધર્મના તથા સર્વસમાજના લોકોને આવતીકાલે તારીખ 21/12/2019 શનિવારે, બપોરે 2:30 કલાકે કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ, જડેશ્વર રોડ, દૂધની ડેરી આગળ, મોટીવાડી રોડ ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમનું આયોજન વાંકાનેરના કોળી સમાજના મહિલા અગ્રણી તથા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી જિજ્ઞાસાબેન મેર તથા કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના ચેરમેન ચિરાગભાઈ પુજારા, પ્રિન્સિપાલ મેહુલભાઈ શાહ, માંધાતા સમસ્ત કોળી સમાજ ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ ધરજીયા, માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શૈલેષભાઇ જાંબુકીયા દ્વારા કરવામાં આવ્યું છે.

13.12.19

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ડોકટર સહિતની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત


વાંકાનેર : છેલ્લા અનેક સમયથી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગના નિષ્ણાંત ડૉક્ટરોનું મહેકમ મંજુર હોવા છતાં ડોકટર સહિત અન્ય પોસ્ટની જગ્યા ભરવા વાંકાનેરના અલ્તાફ બ્લોચે મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

પત્રમાં જણાવાયું છે કે વર્તમાન સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ વાંકાનેરની સરકારી હોસ્પિટલને આધુનિક હોસ્પિટલમાં તબદીલ કરી હતી અને હોસ્પિટલને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી હતી જે આવકારદાયક બાબત છે.

પરંતુ ડોકટર સહિતની અનેક જગ્યાઓનું મહેકમ મંજુર હોવા છતાં તે જગ્યાઓ ભરવામાં આવી નથી. જેના પરિણામે  દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આથી જો ઉપરોક્ત વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે મંજુર મહેકમ ઓછું પડતું હોય તો તે વધારવા અથવા પૂરતું હોય તો તમામ ખાલી જગ્યાઓ ભરવા અલ્તાફ બ્લોચ દ્વારા માંગણી કરવામાં આવી છે.