" ઓળખાણ પડી સાહેબ !!!!!!! "
ઓપીડીનાં દરવાજા બાજુથી અચાનક અવાજ આવ્યો..
" શું થયુ બતાવવાનું છે ? મેં સહજતાથી પૂછ્યું.. "
" ના સાહેબ, ખાલી મળવા જ આવ્યો છું. " (નિખાલસ સ્મિત સાથે બાળકે જવાબ આપ્યો)
એ હસતાં બાળકને જોઇ હું જાણે વિચાર શૂન્ય બની ગયો. હજુ હું કાઈ યાદ કરું તેના પહેલા જ દરવાજામાંથી સ્મિત કરતા ચહેરા સાથે એક દંપતીની એન્ટ્રી થઇ અને જાણે ભૂતકાળની એ 2 વર્ષ પહેલાંની ઘટના મારી આંખો સમક્ષ તાજી થઇ !
આજથી બે વરસ પહેલા ટંકારા તાલુકાથી (અહી દર્દીનું નામ લખવું યોગ્ય ન હોવાથી લખ્યું નથી) આ દંપતી ઘણી બધી ફાઈલો લઇ એ બાળકની સારવાર કરાવવા માટે મારી હોસ્પિટલે આવેલું.
બાળકનાં માતાપિતા બન્નેનાં નિરસ ચહેરા અને ચહેરાનાં હાવભાવ એટલું કહેવા માટે કાફી હતા કે આ બાળક કોઈ અસાધ્ય બીમારીથી પીડાય રહ્યું છે.
કેટલા સમયથી તકલીફ છે ? શું સારવાર કરાવી ? વગેરે અનેક પ્રશ્નો પૂછ્યા. શાંતિથી બધી તપાસ કરતા ખબર પડી કે આ બાળક સોરીયાસિસ નામની ચામડીની તકલીફથી પીડાય રહ્યો છે.
ખૂબ સારવાર કરવા છતાં સફળતા ન મળતા ચિંતામાં ને ચિંતામાં બાળકનાં માતા પિતા પણ ડિપ્રેશનનો શિકાર બનેલા. (એક ડોક્ટર તરીકે નિખાલસતાથી કહું તો આ (સોરીયસીસની બીમારી) નો પહેલા સ્ટેજની સારવારનો પૂરતો અનુભવ મારી પાસે ન હતો) પરંતુ એ બાળકનો વિશ્વાસ અને માતાપિતાનાં દ્રઢ મનોબળે મને દરેક પ્રકારની સારવાર કરવાની જાણે છૂટ આપી હોય એમ વિચારી મેં આયુર્વેદિક પદ્ધતિ વડે સારવાર કરવાનું વિચાર્યું !!!
બાળકનાં માતાપિતાને આશ્વાસન આપી રોગ વિશેની પરેજી સમજાવી સારવાર ચાલુ કરી પણ...
ડોક્ટર સાહેબ આ બીમારી 100% મટી તો જશે ને ? (માતાપિતાનાં એ લાગણીશીલ સવાલનો જાણે મારી પાસે કોઈ જવાબ જ ના હોય એમ અલ્પ આત્મવિશ્વાસ સાથે કહ્યું હા....! હું પૂરતો પ્રયત્ન કરીશ.. જેમ દરેક ડૉક્ટર પોતાની છટક બારી શોધે એમ મેં પણ જવાબ આપ્યો.
સારવાર દરમિયાન અનેક ચઢાવ ઉતાર આવ્યા, બીમારી ક્યારેક વધે તો ક્યારેક ઘટે. પણ દર્દીનો મારી પ્રત્યેનો વિશ્વાસ હંમેશા અડગ રહ્યો અને એજ મારી સફળતાની ચાવી બની. જ્યાં જરૂર પડી ત્યાં મારા કરતા અનુભવી મિત્રોનું માર્ગદર્શન પણ મેળવ્યું. આખરે 12 થી 13 મહિનાની સારવાર બાદ બાળક પોતાની બીમારીથી મુક્ત થયું ને સાથે જ માતાપિતાની ડિપ્રેશન લની દવાઓ પણ બંધ થઈ.
મિત્રો, આ સત્યઘટના અહીં લખવાનો હેતુ એ બાળક બીમારીથી મુક્ત થઈ સ્વસ્થ થયું એ નહિ પણ તેનો મારા પરનો વિશ્વાસ એવો હતો કે જેણે મને આજે ડોકટર હોવા પર ગર્વનો અનુભવ કરાવ્યો.
આજકાલ ભગવાનનું બીજું સ્વરૂપ મનાતા ડોક્ટરોમાં ઘટતી જતી માનવતા તેમજ દર્દીઓનો ડૉક્ટર પરનો અવિશ્વાસ એ ડોક્ટર અને દર્દી વચ્ચે એક ઉંડી ખાઈ સમાન છે અને એ દર્દી મારો આભાર માને એના કરતા અનેક ગણો હું એનો આભારી છું.
-
By,
ડો. અલ્તાફ શેરસીયા (MD - Ayu)
Relief Hospital
wankaner
M : 90334 57226
M : 90334 57226



