25.11.18

ડોકટર્સ ડાયરી : રાત્રીનાં 2 વાગ્યે અચાનક મારી હોસ્પિટલની ડોર બેલ ઉપરા ઉપરી વાગી....

wankaner - aapnu wankaner - Dr altaf sherasia - relief hospital wankaner

એ દિવસે 17 જાન્યુઆરીનો દિવસ હતો. રાત્રીનાં 2 વાગ્યે અચાનક મારી હોસ્પિટલની ડોર બેલ ઉપરા ઉપરી વાગી નીચે જઇને જોયું તો એક જાણીતો રીક્ષાવાળો એક બહારનાં મજુર દર્દીને લઈને આવ્યો હતો. સાથે એક વરસનું નાનું બાળક ખૂબ જ તાવ (105F) બાળક લગભગ અર્ધબેભાન જેવી અવસ્થામાં હતું. ધબકારા તેમજ શ્વાસ ખૂબ જ વધેલા, લોહીમાં ઓક્સીજન લેવલ પણ ઓછું હતું સાથે ચિંતાગ્રસ્ત માતા પિતા..!! (સામાન્ય ભાષામાં મગજમાં તાવ ચડયો એવું કહેવાય) 

એ જ રાત્રે હોસ્પિટલમાં કોઈ સ્ટાફ પણ હાજર નહીં થોડી વાર માટે થયું કે આને આગળ સારવાર માટે મોકલી દઉં. જેવી મેં સલાહ આપી કે તરત જ રીક્ષાવાળા ભાઈ બોલ્યા, " સાહેબ 3 જગ્યાએ ફરીને આવ્યો છું દોઢ કલાકથી દર્દીને લઇને ફરું છું "

" એ ડોક્ટરે શું કહ્યું ? " મેં સહજતાથી પૂછ્યું .. !!! 

" આગળ સારવાર માટે બીજે લઇ જવા પડશે એવું કીધું સાહેબ... "

આને કહેવાય ધર્મસંકટની સ્થિતિ !!! 

એક મિનિટ માટે હું એ દ્વિધામાં હતો કે દર્દીની સારવાર કરું કે કેમ ? જો સારવાર ચાલુ કરું અને ઈન્જેકશનની અસર આવતા પહેલા જ કોઈ કોમ્પ્લિકેશન થાય તો પણ દર્દીનાં સગા-વહાલાંને એવો આક્ષેપ કરતા સમય ના લાગે કે સાહેબે ખોટું ઈન્જેકશન આપી દીધું અને હોસ્પિટલ માથે લઇ લે. (આ એક કડવું સત્ય છે) અને જો પોતાની સેફટીને ધ્યાનમાં રાખી સારવાર કરવાની ના પાડું તો મને દયાહીન, ક્રૂર જેવા અનેક અલંકારીક શબ્દોથી નવાજવામાં આવે !!!

આખરે થોડી હિંમત કરી બાળકની સોય નાખી સારવાર ચાલુ કરી. એકબાજુ સારવાર ચાલુ અને બીજી બાજુ દર પાંચ-પાંચ મીનીટે બાળકનાં માતા-પિતાનાં પ્રશ્નોનો જવાબ આપવો કે સાહેબ ક્યારે તાવ ઊતરશે ? શ્વાસ ક્યારે ઓછો થશે ?

દોઢ કલાકની સારવાર પછી બાળકને પૂરતું ભાન આવ્યું તાવ ઉતર્યો અને શ્વાસ નોર્મલ થયો. સાથે મારો પણ શ્વાસ સામાન્ય થયો અને રાહતનો દમ લીધો. એ મજુર  દર્દીએ મને જેટલી ફી આપી એના કરતાં એની સારવારનો ખર્ચ વધારે હતો પણ એ બાળકનું હસતું મોઢું અને માતા-પિતાનાં આશીર્વાદ એ આજે મને મારી ફી કરતા પણ વધારે ખુશી આપી હતી.

દર્દીએ હસતા મોઢે રજા લીધી પણ એક વિચાર સતત મગજમાં આવતો રહયો કે.. (આ લખવાનો હેતુ હવે કહું છુ..)

1. દર્દીએ સારવારમાં ખૂબ જ મોડું કર્યું હતું અને જો એ દર્દીને ઇન્જેકશનની અસર આવતા પહેલા જ કાંઈ તકલીફ થાત તો શું ? એ સહજતાથી સ્વીકારી લેત કે રાત્રે ઉઠી સાહેબે સારવાર તો બરાબર જ કરી પણ આપણે મોડા પહોંચ્યા.... ?

આ સવાલનો જવાબ જે લોકો એ આ પોસ્ટ પુરી વાંચી છે એ આપે. 

 -
By,
ડો. અલ્તાફ શેરસીયા (MD - Ayu)
Relief Hospital 
wankaner
M : 90334 57226